આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ દાખવેલા અદમ્ય શૌર્ય અને પરાક્રમને સન્માનવા દેશભરના રેલવે સ્ટેશનો તિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ભારતીય રેલવેએ જાબાજ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ અનોખું યોજન કર્યું હતું. આ અવસરે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધીના રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રભક્તિનો અલગ માહોલ જોવા મળ્યો હતો. આ તમામ રેલવે સ્ટેશનો તિરંગાની રોશનીમાં ઝગમગવાની સાથે રેલવે પરિસરમાં દેશભક્તિના ગીતોથી ગૂંજી ઉઠ્યો હતો. એ સાથે રેલવે સ્ટેશનો પર લાગેલી સ્ક્રીન પર રાષ્ટ્રભક્તિ પર આધારિત વિડિયો જોવા મળતા પ્રવાસીઓમાં દેશ પ્રત્યેનો પ્રેમ છલકી ઉઠ્યો હતો.


આ ઓપરેશનને દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે ભારતીય રેલવેએ દેશના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું હતું. ઉપરાંત ભારતીય રેલવે દ્વારા દરેક સ્થળે શેરી નાટક ભજવીને ઓપરેશન સિંદૂરની સફળતાને જનમાનસ સુધી પહોંચાડી હતી.


ભારતીય રેલવેની આ પહેલથી માત્ર સેનાના નરબંકાઓનું અભિવાદન જ નહોતું કર્યું પણ દરેક નાગરિકોને ઓપરેશન સિંદૂરની ગૌરવ ગાથા સાથે સાંકળી લીધા. આ આયોજનથી એક વાત પુરવાર થાય છે કે દેશનો એક-એક નાગરિક એના વીર જવાન સાથે ખભેખભો મિલાવી ઊભો છે. પહેલગામના આતંકવાદી હુમલા બાદ આતંકવાદને નેસ્તનાબુદ કરવાની ભીષ્મપ્રતિજ્ઞા પૂરી કરવા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની એક એવી ગૌરવ ગાથા છે જે આવનારી પેઢીને પ્રેરિત કરતી રહેશે.






