મોદી સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોનો વિરોધ પક્ષો આંધળો વિરોધ કરતા હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. નવા વરસના શુભારંભે સુપ્રીમ કોર્ટે નોટબંધીનો નરેન્દ્ર મોદી સરકારે લીધેલો નિર્ણય યોગ્ય હોવાનું જણાવી વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલી પચાસથી વધુ અરજીઓ કાઢી નાખી હતી.
બીજી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મોદી સરકારે લીધેલો નોટબંધીનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે 4-1થી નોટબંધીને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે નટબંધીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગરબડ થઈ નથી. આ નિર્ણય લેવા અગાઉ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે વિચારવિમર્શ થયો હતો. જોકે પાંચ જજોની બેન્ચમાંથી જસ્ટિસ નાગરત્નાએ વેગળો નિર્ણય આપ્યો હતો. આ મામલે સુનાવણી કરતા કોર્ટે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પડકારતી તમામ 58 અરજીઓને કાઢી નાખી હતી.
આવું પહેલીવાર બન્યું નથી. કેન્દ્ર વિરૂદ્ધ કરવામાં આવેલી અને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીન ચીટ આપી હોય એવો આ છઠ્ઠો કેસ છે. આ અગાઉ વિરોધ પક્ષોએ રાફેલ વિમાનો, પેગાસસ, જસ્ટીસ લોયા, પીએમ કેર ફંડ કેસ જેવા મામલે પણ સુપ્રીમ કોર્ટે મોદી સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી અનેક અરજીઓ કાઢી નાખવાની સાથે મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. આ કેસ છે…
રાફેલ ફાઇટર જેટ

ફ્રાન્સ પાસે ખરીદવામાં આવેલા 36 ફાઇટર જેટની કિમત અને દેસોં રિલાયંસ એવિએશનને ઑફસેટ કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે મોદી સરકાર પર કૉંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા હતા. એ સમયે કૉંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોએ એને ક્રોની કેપિટલિઝમ એટલે કે સાંઠગાંઠવાળા પૂંજીવાદી ખેલ હોવાનો આક્ષેપ કરી સંસદમાં હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ તો જાહેરસભામાં … ચોર હૈની નારાબાજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે પણ મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી.
પેગાસસ

હકીકતમાં વિરોધ પક્ષોનો આક્ષેપ હતો કે કેન્દ્ર સરકાર પેગાસસ સ્પાઈવેર દ્વારા વિરોધ પક્ષના નેતાઓ, અમુક પત્રકારો ઉપરાંત અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓની જાસૂસી કરાવી રહી છે. વિરોધ પક્ષોએ આ મામલે લાંબા સમય સુધી સડકથી સંસદ સુધી ભારે હોબાળો મચાવયો હતો. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ મામલે તપાસ કરી રહેલી ટેક્નિકલ સમિતિએ આપેલા અહેવાલમાં સરકારને બદનામ કરવાનું કાવતરાનો પર્દાફાશ થયો. ટેક્નિકલ સમિતિએ કોર્ટને જણાવ્યું કે પેગાસસ દ્વારા જાસૂસી થઈ રહી હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ મામલે જાસૂસીના શકના દાયરામાં આવેલી 29 પ્રભાવશાળી વ્યક્તિઓના મોબાઇલની તપાસ ટેક્નિકલ કમિટી દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીન ચીટ આપી હતી.
જસ્ટિસ લોયા કેસ

2014ના ડિસેમ્બરમાં જસ્ટિસ લોયાનું અવસાન થયું હતું. તેઓ બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમના અવસાન બાદ એક મેગેઝિને એમના મૃત્યુને સંદિગ્ધ ગણાવતા આ મદ્દે રાજકીય પક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે એના ભાઈએ કરેલી અરજીને પગલે સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો. આ કેસ સાથે અમિત શાહનું નામ પણ સંકળાયેલું હતું. જસ્ટિસ લોયાએ 15 ડિસેમ્બરે કેસનો ચુકાદો આપવાનું જાહેર કર્યું હતું પણ પહેલી ડિસેમ્બરે તેમનું અવસાન થયું. આ મુદ્દે પણ ઘણો ઉહાપોહ થયો પણ સુપ્રીમ કોર્ટે કોઈ વાંધાજનક પુરાવા ન હોવાનું જણાવી કેસ કાઢી નાખ્યો હતો.
પીએમ કેર ફંડ

કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ, 2005 અંતર્ગત પીએમ કેર્સ ફંડ અને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડની કાયદેસરતાને પડકારતી જનહિતની અરજી અલાહાબાદ હાઇકોર્ટે કાઢી નાખી હતી. આ મામલે પણ વિરોધ પક્ષોએ અનેક શંકા-કુશંકા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે અરજી કાઢી નાખ્યા બાદ અરજદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે આ મુદ્દે પણ વિરોધ પક્ષોને ઊંધે માથે પછડાટ ખાવી પડી હતી.






