રેલવેની પહેલ પ્રશંસનીય, પરંતુ કડક અમલ વિના સુવિધા બની રહી છે નિષ્ફળ
સમાજની પ્રગતિનું સાચો માપદંડ એ છે કે તે પોતાના વડીલોને કેટલું સન્માન અને સુરક્ષા આપે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કૉચની સુવિધા શરૂ કરવાનો નિર્ણય નિઃસંદેહ ઐતિહાસિક અને આવકારદાયક હતો. વર્ષો સુધીની માંગણી અને અનેક રજૂઆતો બાદ ૨૦૨૬માં આ સુવિધા અમલમાં આવી, પરંતુ તેનો હેતુ હજુ સુધી સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શક્યો નથી.

વરિષ્ઠ નાગરિકોના કૉચમાં કબજો જમાવી બેઠેલા જુવાનિયાઓ
હકીકત એ છે કે ધસારાના સમયમાં જ નહીં, સામાન્ય સમયે પણ વરિષ્ઠ નાગરિકોના કૉચમાં અન્ય મુસાફરો બેફામ ચઢી જાય છે. પરિણામે જે કૉચ વડીલોની સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે બનાવવામાં આવ્યો હતો, તે જ તેમના માટે અસુરક્ષાનું કારણ બની રહ્યો છે. નિયમનું પાલન કરવા વિનંતી કરનાર વરિષ્ઠ નાગરિકોને અપશબ્દો, ધમકીઓ અને અપમાનજનક વર્તનનો સામનો કરવો પડે છે. ફરિયાદ છતાં ઘણી વખત જવાબદાર તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળે છે.
આ મુદ્દે છાપું ડૉટ કૉમ દ્વારા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એ સાથે તેમને વિડિયો અને ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે છાપું ડૉટ કૉમ દ્વારા કરાયેલા સૂચનોને ગંભીરતાથી સ્વીકારી દરેક સ્ટેશન પર વરિષ્ઠ નાગરિકોના કૉચ અંગે નિયમિત એનાઉન્સમેન્ટ, ધસારાના સમયે આરપીએફ અથવા રેલવે પોલીસના જવાનની તૈનાતી તેમજ વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની ખાતરી આપી છે.
આ પહેલ ખરેખર આવકારદાયક છે, પરંતુ સફળતા ત્યારે જ મળશે જ્યારે તેનો કડક અમલ થશે. નિયમો માત્ર કાગળ પર નહીં, પરંતુ પ્લેટફોર્મ અને કૉચ સુધી પહોંચવા જોઈએ. મુસાફરોમાં પણ એટલી જ સંવેદના અને શિસ્ત આવવી જરૂરી છે કે તેઓ વડીલો માટેની અનામત સુવિધાનો આદર કરે.
વરિષ્ઠ નાગરિકો આપણા સમાજની અમૂલ્ય મૂડી છે. તેમની મુસાફરીને સુરક્ષિત, સન્માનજનક અને નિર્વિઘ્ન બનાવવી એ માત્ર રેલવે પ્રશાસનની નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. હવે સમય આવી ગયો છે કે નિયમોનું પાલન માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વર્તનમાં પણ જોવા મળે.





