ચિન્મય અમૃત મહોત્સવ: ‘ચેન્ટ મુંબઈ – શાંત મુંબઈ’ સંદેશ સાથે ભવ્ય આધ્યાત્મિક મહાઉત્સવ
પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી દ્વારા પ્રસ્થાપિત ચિન્મય મિશન આજે માત્ર એક સંસ્થા નહીં, પરંતુ વિચાર, સંસ્કાર અને સેવા દ્વારા માનવજીવનને ઉજાસ આપતું વૈશ્વિક આધ્યાત્મિક મિશન બની ચૂક્યું છે. આ મિશનના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ચિન્મય મિશન મુંબઈ દ્વારા ‘ચિન્મય અમૃત મહોત્સવ’ની ભવ્ય ઘોષણા કરવામાં આવી છે, જે મુંબઈ સહિત સમગ્ર વિશ્વ માટે શાંતિ અને સમરસતાનો સંદેશ આપશે.

વેદાંતના શાશ્વત તત્ત્વજ્ઞાનને સરળ ભાષામાં જનજન સુધી પહોંચાડવાનું કાર્ય ચિન્મય મિશન છેલ્લા સાડા સાત દાયકાથી નિષ્ઠાપૂર્વક કરી રહ્યું છે. વિશ્વના ૨૯ દેશોમાં સ્થિત ૩૦૦થી વધુ કેન્દ્રો મારફતે મિશન આધ્યાત્મિક શિક્ષણ સાથે શિક્ષણ, આરોગ્ય, ગ્રામવિકાસ અને સામાજિક સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. ૮૬થી વધુ વિદ્યાલય, ૯ મહાવિદ્યાલયો, ૧,૨૫૦થી વધુ ગ્રામોમાં વિકાસ યોજનાઓ, હોસ્પિટલ અને તાજેતરમાં સ્થાપિત ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ આ સેવાયાત્રાની સાક્ષી છે.
ચિન્મય મિશન મુંબઈ મુંબઈ અને નવી મુંબઈના આઠ ઝોન દ્વારા શિશુવિહાર, બાલવિહાર, ચિન્મય યુવા કેન્દ્ર (CHYK), અધ્યયન વર્ગો, ભજન મંડળીઓ અને સેવા પ્રકલ્પો દ્વારા સર્વાંગી માનવ વિકાસને પ્રોત્સાહન આપે છે. આ તમામ પ્રવૃત્તિઓ માનસિક શાંતિ, ચારિત્ર્ય ઘડતર અને સમાજસેવાની ભાવનાને મજબૂત બનાવે છે.
‘ચેન્ટ મુંબઈ – શાંત મુંબઈ’ આ ભાવસભર સંદેશ સાથે રવિવાર, તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સ (BKC) ખાતે યોજાનાર મહામહોત્સવ. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. ૧૦૮ સમષ્ટિ શ્રી હનુમાન ચાલીસા હવનમાં ૨૦,૦૦૦થી વધુ ભક્તો સામૂહિક જપ-યજ્ઞમાં સહભાગી બનશે.
આ હવનથી પ્રાપ્ત થનારી દાનરાશિ ગ્રામવિકાસ, તબીબી સેવાઓ, નિરાધાર બાળકો-મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, ચિન્મય વિશ્વ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને નવા ચિન્મય કેન્દ્રોની સ્થાપનામાં વપરાશે. સ્વામી સ્વરૂપાનંદજી, સ્વામી તેજોમયાનંદજી, સ્વામી સ્વાત્માનંદજી સહિત અનેક મહાપુરુષોની પાવન ઉપસ્થિતિ આ મહોત્સવને વિશેષ મહિમા આપશે.
ચિન્મય મિશન મુંબઈ સૌ સાધકો અને ભક્તજનોને આ ઐતિહાસિક આધ્યાત્મિક મહોત્સવનો ભાગ બની, શાંત અને સુમેળસભર મુંબઈ માટેની સામૂહિક પ્રાર્થનામાં જોડાવા હાર્દિક આમંત્રણ આપે છે.
*મુખ્ય તસવીર : ફાઇલ ફોટો






