ભારતની સમુદ્રી સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના ઐતિહાસિક પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના ત્રણ અદ્યતન પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યા. સ્ટેલ્થ ફ્રિગેટ INS દૂનાગિરી, સર્વે જહાજ INS સંશોધક અને એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS અગ્રયના સમાવેશથી ભારતીય નેવીની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ તૈયાર થયેલા આ ત્રણેય જહાજો ભારતની વધતી જતી સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતીક છે. ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો તથા કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરાયેલા આ જહાજો સમુદ્રી યુદ્ધ, સર્વેક્ષણ અને સબમરીન વિરોધી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

INS દૂનાગિરી પ્રોજેક્ટ 17A અંતર્ગત તૈયાર થયેલું પાંચમું અદ્યતન સ્ટેલ્થ ફ્રિગેટ છે. તેમાં બ્રહ્મોસ સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ અને મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ સહિત આધુનિક હથિયારો અને સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જે ભારતીય નૌકાદળની હુમલા અને રક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ આપશે.

INS સંશોધક ચોથું સર્વે વેસલ (લાર્જ) છે, જે દરિયાકાંઠા અને ઊંડા સમુદ્રના હાઇડ્રોગ્રાફિક સર્વે માટે બનાવાયું છે. આ જહાજ સમુદ્રી માહિતી, ઓશનોગ્રાફિક અને જિયોફિઝિકલ ડેટા એકત્ર કરી સંરક્ષણ ઉપરાંત નાગરિક ક્ષેત્રે પણ ઉપયોગી સાબિત થશે. તેમાં ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ અને રિમોટ ઓપરેટેડ વ્હીકલ્સ જેવી આધુનિક સિસ્ટમ ઉપલબ્ધ છે.

INS અગ્રય અર્નાલા વર્ગનું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. તે લાઇટવેઇટ ટોર્પિડો, સ્વદેશી રોકેટ લોન્ચર્સ અને સોનાર સિસ્ટમથી સજ્જ છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મન સબમરીનના ખતરાનો સામનો કરવામાં મદદરૂપ બનશે.
આ ત્રણેય જહાજોમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે અને તેના નિર્માણમાં 200થી વધુ ભારતીય MSME કંપનીઓએ યોગદાન આપ્યું છે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી પણ મળી છે.
આ ત્રણ શક્તિશાળી જહાજોની કમિશનિંગ માત્ર ભારતીય નૌકાદળ માટે જ નહીં પરંતુ દેશના સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગ માટે પણ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. ભારત હવે દરિયામાં વધુ મજબૂત, આત્મનિર્ભર અને ભવિષ્યના પડકારો માટે તૈયાર બન્યું છે.





