હોરમસજી કામાના હસ્તે ભરત મર્ચન્ટના પુસ્તકનું વિમોચન, સાહિત્યપ્રેમીઓમાં ઉત્સાહ
જાણીતા લેખક ભરત મર્ચન્ટ રચિત પુસ્તક ‘આરોહણ’નું લોકાર્પણ મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર હોરમસજી કામાના શુભહસ્તે ભવ્ય કાર્યક્રમમાં યોજાયું. ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના બાબુભાઈ ચિનોય કમિટી રૂમ ખાતે યોજાયેલા સમારંભમાં બિઝનેસ ઈન્ડિયાના માલિક અશોક અડવાણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
હોરમસજી કામાએ ભરત મર્ચન્ટને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે ગુણવત્તાસભર પુસ્તકને હંમેશા વાચકોનો પ્રેમ મળે છે. ‘આરોહણ’માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને લોકશાહીના મૂલ્યોને ઉજાગર કરતી ત્રણ લઘુનવલકથાઓ તથા એક નવલકથાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું સંચાલન કરતાં પ્રકાશક હેમંત ઠક્કરે જણાવ્યું કે મુંબઈ સમાચાર આગામી ૧ જુલાઈએ તેના ૨૦૫મા વર્ષમાં પ્રવેશ કરશે અને ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રચાર માટે સતત કાર્યરત છે. અશોક અડવાણીએ ભરત મર્ચન્ટની સાહિત્યિક નિષ્ઠાની પ્રશંસા કરી પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં પ્રકાશિત થાય તેવી આશા વ્યક્ત કરી. અંતે ભરત મર્ચન્ટે પોતાની સર્જનયાત્રા વહેંચી અને સૌનો આભાર વ્યક્ત કર્યો.





