નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા) 28 અને 29 સપ્ટેમ્બર, 2024ના ભોપાળ ખાતે આયોજિત બે દિવસીય અધિવેશનમાં પત્રકાર સુરક્ષા કાયદો, મીડિયા કમિશન અને મીડિયા કાઉન્સિલ બનાવવા માટે તથા મીડિયા જગત સાથે સંકળાયેલી બાબતો પર ચર્ચા-વિચારણા થશે. 29 સપ્ટેમ્બરે લેક વ્યુ હોટેલ રેસિડન્સી ખાતે મીડિયાના બદલાતા સ્વરૂપ અને પડકારો વિષય પર ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવશે. ચર્ચાસત્રના મુખ્ય અતિથિ તરીકે મધ્ય પ્રદેશના નાગરી પ્રશાસન અને સંસદીય કાર્યમંત્રી કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત રહેશે. ચર્ચાસત્રમાં ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન શ્રીમતિ રાધા સિંહ, એનયુજેના લીગલ એડવાઇઝર, સુપ્રીમ કોર્ટના વકીલ અને લેખક અશ્વિની દુબે, ગ્રામ્ય એબ્સોલ્યુટના ચેરમેન ડૉ. પંકજ શુક્લ, મધ્ય પ્રદેશનાં મીડિયા પ્રભારી બીકે રીના વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ચર્ચાસત્રની અધ્યક્ષતા એનયુજેઆઈના અધ્યક્ષ રાસ બિહારી કરશે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ જર્નલિસ્ટ સાથે સંલગ્ન નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ (ઇન્ડિયા)ના મહાસચિવ પ્રદીપ તિવારીએ જણાવ્યું કે, આ અવસરે સુપ્રીમ કોર્ટના એડવોકેટ અશ્વની દુબેના નવા પુસ્તક આર્ટિકલ 32નું વિમોચન પણ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે અધિવેશનમાં એનયુજેઆઈના 24 પ્રદેશના સભ્યો ભાગ લેશે. એનયુજેઆઈના મહાસચિવ પ્રદીપ તિવારીએ વધુમાં જણાવ્યું કે અધિવેશનમાં દેશમાં પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મુકવા માટે આંદોલન કરવા અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સોશિયલ મીડિયાને કારણે મીડિયાની વિશ્વસનીયતા અંગે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં પત્રકારોની ઓળખ કાયમ રાખવા માટે નેશનલ રજિસ્ટર ફોર જર્નલિસ્ટ્સની આવશ્યકતા છે. અધિવેશનમાં મીડિયા જગત સાથે સંકળાયેલા તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.






