દર વરસની જેમ આ વરસે પણ બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા આયોજિત સમુહ લગ્નમાં એવી યુવતીઓના લગ્ન કરાવવામાં આવે છે જેણે માતા-પિતા ગુમાવ્યા હોય, જે યુવતીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હોય કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી હોય.
બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા છ વરસથી (કોરોના મહામારીના બે વરસને બાદ કરતા) સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વરસે દસ યુવતીઓનાં લગ્ન મીરા રોડ સ્થિત મઢુલી ખાતે બાપા સીતારામની છત્રછાયા અને આશીર્વાદ સાથે કરાવવામાં આવશે. લગ્નમાં સામેલ દરેક યુવતીઓને ઘરવખરીની સામગ્રી સહિત અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે.
આ વરસે કરિયાવરમાં સાચા હીરાની સોને મઢેલી ચૂંક, ચાંદીના કડા-ગાય-તુલસી ક્યારો, ઇમિટેશન ડાયમંડ જ્વેલરી સેટ, કબાટ, મિક્સર, ટોસ્ટર, 50-60 વાસણોનો સેટ, કાંસાના વાસણોનો સેટ, પંખો, ઇસ્ત્રી, ગાદી-ઓશિકા, પાંચ-પાંચ જોડી સાડી અને ડ્રેસ અને ખાસ સુરતમાં ડિઝાઇન કરાવેલા પાનેતર અને ચણિયા-ચોળી સહિત અનેક વસ્તુઓ આપવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમ અંગે રાજુ લિંબાણીએ જણાવ્યું કે, લગ્નમાં દરેક વરઘોડિયા માટે અલગ મંડપ તૈયાર કરવામાં આવશે. તો પ્રત્યેક કપલ દીઠ બસો મહેમાનો લગ્નમાં હાજરી આપશે. લગ્ન વિધિ બાદ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે જાનૈયાઓ, દાતાઓ અને આયોજકોના આમંત્રિત મહેમાનો મળી છ-સાત હજાર લોકોનો જમણવાર યોજાશે.
એ સાથે રાજુ લિંબાણીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા કન્યાના શક્ય એટલા તમામ કોડ પૂરા કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સમુહ લગનની શરૂઆત કરી ત્યારે રિસેપ્શનનું આયોજન કરવામાં આવતું નહોતું. પરંતુ અમુક કન્યાઓએ સત્કાર સમારંભ યોજવાની વિનંતી કરતા સંસ્થાએ એ સુવિધા પણ પૂરી પાડવાનું નક્કી કર્યું.
પૂર્વ નગરસેવક અને બાપા સીતારામ સેવા ટ્રસ્ટના અનિલ વિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રવીણ સુરકા, નિકુલ પટેલ, વિઠ્ઠલ લાઠિયા અને રાજુ લિંબાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
8 જાન્યુઆરી, 2023ના મઢુલી, બાપા સીતારામ મંદિર, ઇન્દ્રપ્રસ્થ બિલ્ડિંગની સામે, પૂનમ વિહાર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં દસ કોડિલી કન્યા પ્રભુતામાં પગલાં પાડશે.






