દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇસ પૉલિસી મામલે પૂછપરછ બાદ સીબીઆની ધરપકડ કરી છે. સિસોદિયા સીબીઆઈ મુખ્યાલય સવારે અગિયાર વાગ્યે પહોંચ્યા હતા દિલ્હીની આમ આદમી પાર્ટીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ આબકારી ગોટાળામાં કથિત રીતે સંકળાયેલા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
રવિવારે સવારે અગિયાર વાગ્યે આપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઇસ ગોટાળા મામલે આજે આઠ કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. સિસોદિયાની ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપસર કરવામાં આવી છે. સિસોદિયાને સોમવારે બપોરે કોર્ટમાં રજૂ કરાશે. આ અગાઉ પણ સિસોદિયાને પૂછપરછ માટે સીબીઆઈએ બોલાવ્યા હતા પરંતુ બજેટની તૈયારી કરવાની હોવાથી તેમણે સમય માગ્યો હતો. ત્યાર બાદ સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું.
જમવા માટે પણ ઘરે જવાની પરવાનગી ન આપી
પૂછપરછ દરમિયાન બપોરે સિસોદિયાને ઘરે જમવા જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. એ સમયે જ મનીષ સિસોદિયાની ધરપકડ કરાશે એવો અંદેશો જણાવાઈ રહ્યો હતો. સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. આપના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યુ કે આ તો અઘોષિત સરમુખત્યાર શાહી છે. જ્યારે ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે સિસોદિયાએ નવી દિલ્હીના હજારો-લાખો પરિવારોને દારૂના નશાની જાળમાં ધકેલ્યા હતા. મિશ્રાએ કહ્યું કે જ્યારે કોરોના કાળમાં લોકો દવાઓ, ઑક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાના હતા ત્યારે તેઓ દારૂના ઠેકા ખોલવાનું કામ કર્યું. આ પાપ માટે દિલ્હીના માતા-બહેનોએ જે બદદુઆ આપી એને કારણે સિસોદિયાની ધરપકડ થઈ છે. સિસોદિયાને હવે લાંબો સમય જેલમાં રહેવું પડશે.

આપની દારૂ નીતિને કારણે ડીલરોને બખ્ખા
આ અગાઉ સીબીઆઈએ સિસોદિયાના નજદિકના કહેવાતા દિનેશ અરોરાએ કરેલી કબુલાત, સાઉથ લૉબીના કથિત સભ્યો અને નીતિને પોતાના લાભમાં કરાવનારા નેતાઓ અને દારૂના વેપારીઓના ગ્રુપ પાસેથી મળેલી જાણકારીના આધારે ઉપમુખ્ય પ્રધાનની તલસ્પર્શી પૂછપરછ કરી હતી. તેમના પર આરોપ છે કે દારૂના વેપારીઓને લાઇસંસ આપવાની દિલ્હી સરકારની નીતિને કારણે અમુક ડીલરોને ફાયદો પહોંચ્યો હતો. એ સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને લાભ પહોંચાડવા માટે કથિતપણે લાચ આપવામાં આવી હતી. જોકે આમ આદમી પાર્ટીએ સ્વાભાવિક પણે આક્ષેપને નકારી કાઢ્યો હતો. સીબીઆઈના આરોપનામામાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે એક્સાઇસ નીતિમાં ફેરફાર, લાઇસંસ ધારકોને અનુચિત લાભ આપવો, લાઇસંસ ફીમાં છૂટ આપવી, જેવી અનેક અનિયમિતતા પૉલિસીમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
લોકશાહી માટે કાળો દિવસ હોવાનું જણાવતી આપ
મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યુ હતું કે, લોકશાહી માટે કાળો દિવસ. ભાજપની સીબીઆઈએ લાખો બાળકોના ભવિષ્ય બનાવનાર દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈ કાર્યાલય જતા પહેલા સિસોદિયાએ શું કહ્યું?
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને કથીત દારૂ ગોટાળા મામલે આઠ કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી. જોકે સીબીઆઈ મુખ્યાલય જતા પહેલાં મનીષ સિસોદયાએ કહ્યુ હતું કે ભલે હું 7-8 મહિના જેલમાં રહું, મારા માટે ખેદ વ્યક્ત કરવાને બદલે ગર્વ અનુભવજો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપના અરવિંદ કેજરીવાલથી ડરી રહ્યા છે. એટલે એક ખોટા કેસમાં ફસાવવા માગે છે.
એ સથે સિસોદિયાએ તેમના સમર્થકોને કહ્યું કે, મારી પત્ની મારી સાથે પહેલા દિવસથી મારી સાથે છે એ બીમાર છે અને ઘરે એકલી છે. એમની દેખભાળ રાખજો. અને હું દિલ્હીના બાળકોને કહેવા માગું છું કે ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને માતા-પિતાની વાત સાંભળજો.
મોદીજી ભગવાન તમને માફ નહીં કરે
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યુ કે ધરપકડ દર્શાવે છે કે સરમુખત્યારશાહી બેફામ બની રહી છે. એક નેકદિલ વ્યક્તિ અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ પ્રધાનની ધરપકડ કરી સારું કામ નથી કર્યું. મોદીજી ભગવાન તમને માફ નહીં કરે. એક દિવસ તમારી સરમુખત્યારશાહીનો અંત જરૂર આવશે.






