મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા
મુખ્ય પ્રધાનની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના આબાલ-વૃદ્ધ તમામ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા.

મુખ્ય પ્રધાને પ્રભાતફેરીના માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરવાની સાથે પૂજા-અર્ચના કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામની વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મ દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશુ આરોગ્ય માવજતને પણ આવરી લેવા પ્રેરણા આપી હતી. એના અનુસંધાનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના સરઢવ પશુ આરોગ્ય કેન્દ્રની આ અન્વયે મુલાકાત લીધી હતી.
પશુઓનું રસીકરણ, સઘન સારવાર, માવજત કરીને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમા પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાવ સાથે મુખ્ય પ્રધાને આ પશુ દવાખાનામાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સરઢવના ૧૮૦૦ પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ગૌ પૂજન પણ કર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવિન આરઓ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું
મુખ્ય પ્રધાને ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું.
મુખ્ય પ્રધાન સાથે આ અવસરે શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ પ્રધાન વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ , શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા






