રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 જૂન, 2021ના રોજ બીજી બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક નાણાકીય વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. કોઈપણ બેંકના ગ્રાહકો દ્વારા દર મહિને મળતા ફ્રી ATM ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકો પર વસૂલવામાં આવતા ગ્રાહકોની મહત્તમ મર્યાદા 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે. ઇન્ટરચેંજ ફીમાં વધારો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. તમને જણાવી દઈએ કે બેંક ગ્રાહકો દર મહિને ATMમાંથી 5 વાર મફત ટ્રાંઝેક્શન કરી શકે છે.
ઘણા વર્ષોથી, ખાનગી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ઇન્ટરચેંજ ફીમાં રૂ.15 થી વધારીને 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, મફત મર્યાદા પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવા હવે ગ્રાહકોને મોંઘુ પડશે. જૂન 2019માં ભારતીય બેંકોના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરબીઆઈએ કહ્યું કે આ નિર્ણય બેંકો અને એટીએમ ઓપરેટરો પર એટીએમ ડિપ્લોયમેન્ટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે તમામ હિસ્સેદારો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકે નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંને માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે બિન-નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે, જે 1 ઓગસ્ટ, 2021થી લાગુ થશે. આ હુકમ કેશ રિસાયકલ મશીન દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.






