2014 અને 2019માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ 2024માં પણ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક માટે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે વારાણસીથી ત્રીજીવાર તેમનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ અવસરે તેમની સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે તેમણે કલેક્ટર એસ. રાજલિંગમને હાથ જોડી પ્રણામ કર્યા હતા. તો ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તથા એનડીએના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમેદવારી નોંધાવવા પહેલા નરેન્દ્ર મોદીએ કાળ ભૈરવની પૂજા-અર્ચના કરી હતી. આજે ગંગા સપ્તમી હોવાથી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા માતાની પૂજા કર્યા બાદ ક્રુઝ દ્વારા નમો ઘાટ પહોંચ્યા અને અહીંથી રોડ રસ્તે કાળ ભૈરવ મંદિરે ગયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની પહેલી ચૂંટણી વારાણસીથી લડ્યા હતા અને પ્રચંડ બહુમતિથી વિજય મેળવ્યો હતો. 2019માં પણ તેઓ વારાણસી ફરી ચૂંટઈ આવ્યા હતા. હવે તેઓ ત્રીજી વાર વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણી પહેલી જૂને થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમા પર હાર ચઢાવી રોડ શો કર્યો હતો. લગભગ છ કિલોમીટર લાંબા રોડ શે દરમિયાન લોકોએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું. સવા બે કલાકના રોડ શો બાદ વડા પ્રધાન કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા.
આજે નામાંકન દરમિયાન એનડીએના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, રામદાસ આઠવલે, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, ચંદ્રબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ સિંહ પુરી અને પવન કલ્યાણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારની તબિયત સારી ન હોવાથી ઉપસ્થિત રહી શક્યા નહોતા.