મુંબઈ, તા 4
રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં લૉકડાઉન દરમિયાન મુકાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાની શરૂઆત કરી છે ત્યારે ઉપનગરીય લોકલના પેસેન્જર અસોસિયેશનોએ સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની માગણી કરી છે.
રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરને પગલે રાજ્ય સરકારે 15 એપ્રિલથી સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા પ્રતિબંધ મુક્યો હતો.
અત્યારે લોકલ ટ્રેનમાં માત્ર આવશ્યક સેવાના કર્મચારીઓ અને રસીકરણ કે હોસ્પિટલમાં જનારાઓને પ્રવાસ કરવાની છૂટ અપાઈ છે. લગભગ ત્રીસ લાખ જેટલા પ્રવાસીઓ મધ્ય અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે. બુધવારે પેસેન્જર અસોસિયેશનના સભ્યો મધ્ય રેલવેના અધિકારીઓને મળ્યા હતા અને મહિલાઓના ડબામાં સુરક્ષા વધારવાની વિનંતી કરવાની સાથે અગાઉની જેમ સામાન્ય જનતાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.
સામાન્ય જનતા માટે ટ્રેન સેવા ફરી શરૂ કરવી જોઇએ. જેમ કે રાજ્ય અનલૉક થઈ રહ્યુ છે, કામ માટે પ્રવાસ કરનારાઓને આવવા-જવાની પરવાનગી આપવી જોઇએ. અમે રેલવેના અધિકારીઓ અંગે આ મુદ્દે ચર્ચા કરી હતી. પરંતુ તેમણે જણાવ્યું કે આ અંગેનો નિર્ણય લેવાની સત્તા મહારાષ્ટ્ર સરકાર પાસે છે. રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ જણાવ્યુ કે, સરકારે અગાઉની જેમ પ્રતિબંધિત સમયની સાથે તુરંત શરૂ કરવી જોઇએ.
પેસેન્જર અસોસિયેશનોએ એમ પણ કહ્યુ કે જેમણે રસી મુકાવી હોય તેમને પ્રવાસ કરવાની પરવાનગી આપવી જોઇએ. સરકાર જ કહી રહી છે કે જેમણે રસીનો પહેલો ડૉઝ પણ લીધો હોય તેમની સંક્રમિત થવાની શક્યતા ઘણી ઓછી છે. તો તેમને પ્રવાસ કરવાની છૂટ મળવી જોઇએ. અમે રાજ્ય સરકારને રસીકરણ અભિયાન ઝડપી બનાવવાની પણ અપીલ કરીએ છીએ, એમ ઉપનગરીય રેલ યાત્રી સંઘનાં સંક્રેટરી લતા અર્ગડે જણાવ્યુ હતું.
મધ્ય રેલવેના ચાફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા પ્રવાસીઓને ઉપનગરીય લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી છે. આ અંગે અમારા અધિકારીઓ રાજ્ય સરકાર સાથે સમન્વય સાધી રહ્યા છે.
ઉપરાંત, મધ્ય રેલવેએ મે મહિનામાં એના ઉપનગરીય કૉરિડોર પર 32 હજાર ખુદાબક્ષોને પકડ્યા હતા અને તેમની પાસેથી 1.65 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. એપ્રિલ અને મે દરમિયાન પરાની અને લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા 1.50 લાખ કેસ નોંધાયા હતા.






