મુંબઈના તિલક ભવનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકલ અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીના પ્રમુખ તથા ભૂતપૂર્વ મંત્રી મહાદેવ જાનકર વચ્ચે ગઠબંધન અંગે વિસ્તૃત ચર્ચા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે બંને પક્ષોએ મ્યુનિસિપલ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી.
હર્ષવર્ધન સપકલએ જણાવ્યું કે મહાદેવ જાનકર બહુજન સમાજનો મજબૂત અવાજ છે અને લોકશાહી તથા બંધારણને બચાવવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ એકજૂટ થવાની જરૂર છે. અગાઉ પણ સતારા, સાંગલી, મરાઠવાડા અને વિદર્ભમાં બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને આ સહકાર આગળ પણ ચાલુ રહેશે.
આરએસપી પ્રમુખ મહાદેવ જાનકરે જણાવ્યું કે શિવ–શાહુ–ફૂલે–આંબેડકરના વિચારો સાથે ચાલતી રાજનીતિ માટે કોંગ્રેસ સાથે જોડાણ સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે આજે બેઠકો કરતાં વધુ મહત્વ બંધારણ અને લોકશાહીની રક્ષા કરવાનો છે.
આ દરમિયાન શિવસેના–મનસે ગઠબંધન અંગે પ્રશ્ન પૂછાતા સપકલએ તેમને શુભકામનાઓ પાઠવી અને કોંગ્રેસ જોડનારી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે તેમ જણાવ્યું.






