કાનજી નારાયણ ઍન્ડ કંપની ખાતે ટેલરિંગ શોપ ધરાવતા હોવા છતાં
બૉલિવુડના એક સમયના વિખ્યાત ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ કપડા સીવડાવતા
રેડીમેડના જમાના બાદ હાલ ચાલી રહેલા ઑનલાઇન બિઝનેસને કારણે અનેક દુકાનદારોને તેમનું અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બન્યું છે. આવા સમયે ફોર્ટમાં આવેલી કાનજી નારાયણ ઍન્ડ કંપની છેલ્લા સો વરસથી અવિરત તેમના માનવંતા ગ્રાહકોને સેવા આપી રહી છે. રેડીમેડ કે ઑનલાઇન બિઝનેસ પણ તેમના ધંધાની કાંગરી ખેરવી શક્યો નથી.
એવી કઈ ખાસિયત છે કે ગ્રાહકોનો વિશ્વાસ હજુ પણ કાનજી નારાયણ ઍન્ડ કંપની પર ટકી રહ્યો છે?
આ વિશે કાનજી નારાયણ ઍન્ડ કંપનીના મુકુંદભાઈ સગાણી જણાવે છે કે અમે ગ્રાહકોની પસંદગી મુજબ કપડા સીવીને આપીએ છીએ. વરસોના અનુભવ બાદ અમે દરેક વ્યક્તિના શરીરને અનુરૂપ કપડાં સીવવાનું શરૂ કર્યું અને એને નામ આપ્યું બેસ્પોક બૉડી ટૉક ટેલરિંગ (Bespoke Body Talk tailoring).
કાનજી નારાયણ ઍન્ડ કંપનીની સ્થાપના કેવી રીતે થઈ એ વિશે જણાવતા મુકુંદભાઈ કહે છે કે, કાનજીભાઈ અને તેમના ભાઈઓ સૌરાષ્ટ્રના ગામ રાજપરાની આસપાસના રજવાડાના મહેલોમાં સિલાઈ મશીન ખભે મુકી જતા અને રાજ પરિવારોના કપડાં સીવતા. સમયાંતરે રજવાડાઓનું ચલણ ઓછું થવાની સાથે સગાણી પરિવારનો વિસ્તાર થતા મોટા શહેરમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું.
‘કાનજી નારાયણ એન્ડ કંપની’ ના સંસ્થાપકો – સ્વ. કાનજીભાઈ નારાયણભાઈ સગાણી (ચોહાણ), સ્વ. છગનભાઈ નારાયણભાઈ સગાણી (ચોહાણ), સ્વ. લાલજીભાઈ નારાયણભાઈ સગાણી (ચોહાણ) સારા જીવનનું સ્વપ્ન જોવાની સાથે તેઓ સાહસિક હતા. ટેલરિંગ તેમની આગવી ખાસિયત હતી અને તેઓ વ્યવસાયને સફળ બનાવવા માટે તેમનું નસીબ અજમાવવા માટે પણ તૈયાર હતા.
એટલે કાનજીભાઈ સૌરાષ્ટ્ર (ગુજરાત)ના પૈતૃક ગામ કોટડા સગાણી, રાજાપરાથી મુંબઈ આવ્યા. સૌના સપનાની નગરીએ તેમને ખુલ્લા હાથે આવકાર્યા. જોકે તેમણે આર્થિક સંકટનો પણ સામનો કરવાનો હતો. જોકે તેમણે તેમના સમુદાયમાંથી મદદ મેળવી અને ફોર્ટ વિસ્તારમાં એક ટેલરિંગ ફર્મમાં નોકરી મેળવી.
જ્ઞાતિજન અને નજીકના મિત્ર એવા મચ્છુ કાઠિયા સાઈ સુથાર જ્ઞાતિના સ્વ. કાનજીભાઈ રવજીભાઈ ગોહેલ તેમણા માર્ગદર્શક અને મદદગાર બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ કાનજીભાઈ ઝડપથી પ્રગતિના સોપાન સર કરી રહ્યા હતા. એના ફળસ્વરૂપ ૧૩ જાન્યુઆરી ૧૯૨૨ના દિવસે ૧૭-એ, કાવાસજી પટેલ માર્ગ, ફોર્ટ, મુંબઈ ખાતે દુકાન ખરીદવાની તક મળી. અને નામ રાખ્યું ‘કાનજી નારાયણ એન્ડ કંપની’.
શરૂઆતમાં કાનજીભાઈ પોતે કપડા સિલાઈ કરતા હતા જોકે તેમણે જરૂર પૂરતો સ્ટાફ પણ રાખ્યો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગ્રાહકોમાં પણ તમની શાખ બંધાવા માંડી હતી. કામનો વ્યાપ વધ્યા બાદ તેમના લાલજીભાઈ પણ વ્યવસાયમાં જોડાયા હતા. તહેવારો દરમિયાન રાત-દિવસ કામ કરતા હોવાથી પરિવારનું ધ્યાન રાખવા માટે ભાગ્યે જ સમય મળતો હતો. તેમની વ્યાવસાયિકતા તેમની યુએસપી (યુનિક સેલિંગ પોઇન્ટ) બની ગઈ.
અહીં થોડો પોરો ખાતા મુકુંદભાઈ જણાવે છે કે, ધમધોકાર ધંધો ચાલી રહ્યો હતો ત્યાં કંપનીને કુદરતે મોટો આંચકો આપ્યો. કાનજીભાઈનું માત્ર 34 વરસની વયે અવસાન થયું. જોકે તેમણે નાખેલા મજબૂત પાયાની સાથે બૉડી ટૉક ડિજાઇનર્સનો વારસો આગળ વધારવાનો મહામાર્ગ તૈયાર કરીને ગયા હતા.
કાનજીભાઈના અવસાન બાદ ધંધાની જવાબદારી લાલજીભાઈના ખભા પર આવી. લાલજીભાઈએ મોટાભાઈ છગનભાઈ અને તેમના બંને પુત્રો ચીમનલાલ અને મુકુંદરાયને ધંધામાં સામેલ કર્યા. જોકે છગનભાઈ ઘરમાં સૌથી મોટા હોવાથી પેઢીનો કારભાર તેમના હસ્તક રહ્યો. લાંબા અરસા સુધી દુકાન સંભાળ્યા બાદ તેમનું અવસાન થતાં માલિકી હક તેમના પુત્ર ઉત્તમલાલ ચોહાણ હસ્તક ગયો. જકો ઉત્તમલાલ ધંધામાં સક્રિય ન હોવાથી લાલજીભાઈએ બજારભાવ કરતા હજાર રૂપિયા વધુ આપી કંપની ખરીદી લીધી.

લાલજીભાઈએ કંપની હસ્તગત કર્યા બાદ ધંધાનો વિકાસ ઝડપથી થવા લાગ્યો. મુંબઈના એ સમયના ઉચ્ચભ્રૂ સમાજના લોકો ગ્રાહકો બન્યા. જેમાં જસ્ટીસ બખ્તાવર લેન્ટિન (તેમના પુત્રો અને પૌત્રો આજે પણ કંપનીના ગ્રાહકો છે). તત્કાલીન આવકવેરા કમિશનર સ્વ. ઓ. વી. કુરુવિલા, વિખ્યાત જ્વેલરી ચેઇન ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીના સ્વ. ગોપાળભાઈ ઝવેરી (ઝવેરી પરિવારના પ્રતાપભાઈ, શ્રીકાંતભાઈ અને ત્રિમૂર્તિભાઈ સહિત), નવરંગ ફિલ્મ ફૅમ વિખ્યાત અભિનેતા મહિપાલ, મુકરી, બૉલિવુડના અજરામર વિલન પ્રાણ, લંડન પિલ્સનરના સ્થાપક નૌશીર ઇરાની, સિને બ્લિટ્ઝ મેગેઝિનના માલિક અને એડિટર-ઇન-ચીફ રૂસી કરંજિયા, અમેરિકન ડ્રાય ફ્રુટ્સના સ્થાપક હરિરામ જેરામ ઠક્કર અને તેમના પુત્રો આજે પણ કંપનીના ગ્રાહકો છે. તાજેતરમાં આર્યન ખાનનો કેસ લડનારા દેશના જાણીતા ઍવોકેટ સતીશ માનેશિંદે, જસ્ટિસ એચ. સી. નાડકર્ણી, સોલિસિટર એસ. કે. બિલાવાલા, અગ્રણી બિલ્ડર અને ભાજપ મુંબઈના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સહિત અને મહાનુભાવો તેમના ગ્રાહકો છે.
એક મજેદાર કિસ્સો જણાવતા મુકુંદભાઈ કહે છે કે, એક દિવસ ઓબેરૉય ગ્રુપ ઑફ હોટેલ્સનાં શ્રીમતિ ઓબેરૉય પેઢીની મુલાકાતે આવ્યા. તેમના પતિના કપડા અમે સીવ્યા બાદ સ્ટીચિંગ એટલું પસંદ પડ્યું કે હોટેલના તમામ સ્ટાફના યુનિફોર્મને ક્યુરેટ કરવા નિયુક્ત કર્યા. ઓબેરૉય સાથે 19 વરસ કામ કર્યું. આ વરસો દરમિયાન કાનજી નારાયણ ઍન્ડ કંપનીએ નરીમાન પોઇન્ટ સ્થિત હોટેલ ઉપરાંત અંધેરીના ઓબેરૉય ફ્લાઇટ કિચનના સ્ટાફના યુનિફોર્મ બનાવવાનું કામ કર્યું.
સમયની સાથે લોકોની બદલાતી રુચિની સાથે તીવ્ર બનતી સ્પર્ધા છતાં કાનજી નારાયણ ઍન્ડ કંપની આજે પણ અડગ ઊભી છે અને પ્રતિષ્ઠિત ટેલરિંગ ફર્મ તરીકે આજે પણ ટોચ પર છે.
2008નું વર્ષ કાનજી નારાયણ ઍન્ડ કંપની માટે આઘાતજનક રહ્યું, એના માર્ગદર્શક-પથદર્શક લાલજીભાઈ સગાણીનું અવસાન થયું. તેમના નિધન બાદ, તેમના પુત્રો ચીમનલાલ અને મુકુંદરાયે ધંધો સંભાળ્યો. 2013માં ચીમનલાલે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને હાલ પેઢીનું સંચાલન મુકુંદરાય સગાણી સંભાળી રહ્યા છે. તો તેમના પુત્ર વિનય સગાણી રોજિંદા કામકાજનું ધ્યાન રાખે છે.
કાનજી નારાયણ ઍન્ડ કંપની ગુણવત્તા માટે આગ્રહી છે. મુકુંદરાય કહે છે એમ, અમે ૧૯૨૨થી પુરુષોને બૉડી ટૉક ડિઝાઈનર તરીકે સુંદર પોશાક પહેરાવીએ છીએ. કુર્તા, ટેપર્ડ શર્ટ, શ્રેષ્ઠ સૂટ્સથી લઈને અત્યાધુનિક કોર્પોરેટ વેર તથા લગ્નમાં વરરાજા અને પરિવારના સભ્યો માટે સુઘડ અને આકર્ષક વસ્ત્રપરિધાન. અને એટલા માટે જ ગ્રાહકો આજે પણ કાનજી નારાયણ ઍન્ડ કંપનીને એટલો જ પ્રેમ કરે છે જેટલો સો વરસ પહેલાં કરતા હતા.






