“મારી માતાના મૃત્યુ માટે કબૂતરો જવાબદાર” કહી ભાજપના ધારાસભ્ય આક્રમક
જૈન મુનિઓએ માંગ્યો પુરાવો
મુંબઈમાં કબૂતરોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે વિધાનસભા સુધી પહોંચી છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે પોતાની માતાના મૃત્યુ માટે કબૂતરોને જવાબદાર ગણાવતા ભાવુક નિવેદન આપ્યું છે. તેમના આ દાવા બાદ આરોગ્ય, પર્યાવરણ અને ધાર્મિક લાગણીઓ વચ્ચેનો વિવાદ ફરી ગરમાયો છે.
રામ કદમે વિધાનસભામાં જણાવ્યું કે તેમની માતાનું ૧૨ જૂને અવસાન થયું હતું અને છેલ્લા બે વર્ષથી તેઓ ફેફસાના ગંભીર આઈએલડી (Interstitial Lung Disease) રોગથી પીડાઈ રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ રોગની અસર કબૂતરોના સંપર્કથી વધી હતી અને આ બીમારીની અસરકારક સારવાર ઉપલબ્ધ નથી. સતત ઓક્સિજન પર રહેવા છતાં તેમની માતાએ અસહ્ય પીડા સહન કરી હતી.
ધારાસભ્યએ દાદર સહિત શહેરના કબૂતરખાનાઓ હટાવી કબૂતરોને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જેવા સ્થળે સ્થળાંતરિત કરવાની માંગ કરી. જોકે તેમના આ નિવેદન પર જૈન સમાજના મુનિઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે આવા ગંભીર દાવા માટે વૈજ્ઞાનિક અને તબીબી પુરાવા રજૂ કરવા જોઈએ.
આ ઘટનાએ મુંબઈમાં કબૂતરોના વધતા ઉપદ્રવ, જાહેર આરોગ્યના જોખમો અને ધાર્મિક પરંપરાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગેની ચર્ચાને ફરી વેગ આપ્યો છે.






