બે વિશાળ બોગદાઓથી દરિયામાંથી આવશે પાણી,
રોજના 40 કરોડ લીટર સપ્લાયનો મહાપ્રોજેક્ટ
મુંબઈમાં વધતી વસતી સાથે પાણીની માંગ સતત વધી રહી છે અને દરરોજ લાખો લીટર પાણીની અછતનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે મુંબઈ મહાનગરપાલિકાએ મનોરી ખાતે વિશાળ ડીસેલિનેશન પ્લાન્ટ ઉભો કરવાનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ દ્વારા સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવીને મુંબઈગરા સુધી પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટને હવે કેન્દ્ર સરકાર તરફથી CRZ મંજૂરી મળી ગઈ હોવાથી કામને ટૂંક સમયમાં ગતિ મળશે.
મુંબઈમાં હાલ દરરોજ લગભગ 4,664 MLD પાણીની જરૂરિયાત છે, જ્યારે પુરવઠો માત્ર 3,975 MLD જેટલો જ થાય છે. આ તફાવત દૂર કરવા મનોરી પ્રોજેક્ટ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ સમુદ્રમાં લગભગ બે કિલોમીટર લાંબા બે વિશાળ બોગદાઓ બનાવવામાં આવશે, જેમાંથી એક બોગદાથી પાણી પ્લાન્ટ સુધી લાવવામાં આવશે અને બીજા દ્વારા પ્રક્રિયા પછીનું પાણી છોડવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 20 કરોડ લીટર પાણી
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દરરોજ 20 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવશે, જ્યારે બીજા તબક્કા પછી કુલ ક્ષમતા 40 કરોડ લીટર સુધી પહોંચી જશે. અંદાજે 4,500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાંચ વિસ્તારોને મળશે સીધો લાભ
પ્રોજેક્ટ શરૂ થયા બાદ માલાડ, ગોરેગાંવ, બોરીવલી, દહિસર અને કાંદિવલી જેવા પશ્ચિમ ઉપનગરોના પાંચ મહત્વના વોર્ડને સીધો લાભ મળશે. સાથે જ ભાંડુપ જળશુદ્ધિકરણ કેન્દ્ર પરનો ભાર પણ ઓછો થશે અને અન્ય વિસ્તારોમાં પાણીનું વધુ સારું વિતરણ શક્ય બનશે. મુંબઈ માટે આ પ્રોજેક્ટ ભવિષ્યના પાણી સંકટ સામે એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.






