મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત નેશનલ સ્ટૉક એક્સચેન્જના એમ્ફીથિયેટરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત ‘દેવર્ષિ નારદ પત્રકારત્વ પુરસ્કાર 2026’નું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ સંવાદ કેન્દ્ર, મુંબઈ દ્વારા આયોજિત આ સમારોહમાં મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 12 પત્રકારો અને મીડિયા હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કારનું 26મું વર્ષ પૂર્ણ થયું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય લોકનીતિ નિષ્ણાત અને જાણીતા લેખક સંદીપ વાસલેકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “જ્યાં સાચી સંસ્કૃતિ હોય છે ત્યાં સંઘર્ષ માટે કોઈ સ્થાન રહેતું નથી. ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવાનું શીખવે છે.” તેમણે વૈશ્વિક સ્તરે ભારતની સંસ્કૃતિ અને વિચારધારાને દબાવવાના પ્રયાસો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ સમારોહમાં વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ કંટીન્યુઅસના તંત્રી ડૉ. મયૂર પરીખને તેમની પત્રકારત્વ ક્ષેત્રે આપેલી નોંધપાત્ર સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. મયૂર પરીખે ઝી ન્યુઝ અને ABP ન્યુઝ જેવી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓમાં 25 વર્ષથી વધુ સમય સુધી કાર્ય કર્યું છે તેમજ 25થી વધુ ચૂંટણીનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હાલમાં તેઓ ડિજિટલ મીડિયા જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સક્રિય સેવા આપી રહ્યા છે.
સમારોહ દરમિયાન ભારતની વધતી સામરિક શક્તિ અને સંવાદની ભારતીય પરંપરા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિશેષ અતિથિ આર. આર. નિંભોરકરે જણાવ્યું હતું કે ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત બની રહ્યું છે અને દેશની શસ્ત્ર નિકાસ 30 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુખ્ય વક્તા પ્રશાંત પોળે ભારપૂર્વક કહ્યું હતું કે “સંવાદ એ જ ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ છે.”
વિશ્વ સંવાદ કેન્દ્રના અધ્યક્ષ સુધીર જોગળેકરે જણાવ્યું કે રાષ્ટ્રહિત અને સમાજહિતને પ્રાથમિકતા આપતા પત્રકારોનું સન્માન કરવું એ આ પહેલનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમનું પ્રાસ્તાવિક ડૉ. નિશિથ કે. ભાંડારકરે કર્યું હતું જ્યારે આભારવિધિ ચંદ્રશેખર વઝેએ વ્યક્ત કરી હતી.






